Welcome to Our Community Blog to enjoy old memories including beautiful scenes, some spiritual articles and some highlights of our mother land India.

Monday, March 4, 2013

શ્રી દામોદરદાસ હરસાનીજી


શ્રી દામોદરદાસ હરસાનીજી


પુષ્ટિ સૃષ્ટિ અગ્રેશ શ્રી દામોદરદાસ હરસાનીજીનો આજે પ્રાગટ્ય દિવસ છે. જેમને શ્રીવલ્લભે સૌ પ્રથમ બ્રહ્મસંબંધનું દાન કર્યું, જેમના હૃદયમાં શ્રીવલ્લભે પુષ્ટિમાર્ગનો સકળ સિદ્ધાંત સ્થાપિત કર્યો તેવા શ્રી દામોદરદાસને શ્રીવલ્લભ આજ્ઞા કરતાઃ “દમલા, યહ માર્ગ તેરે લેયે પ્રકટ કિયો હૈ.” અને દામોદરદાસજી માટે પ્રકટ થયેલા આ કૃપામાર્ગમાં તેમના દ્વારા અનેક જીવોનો અંગીકાર થયો.

આ ભગવદ્ શિરોમણીનું ચરિત્ર દિવ્ય છે. અદ્​ભુત અને અલૌકિક છે. એમના સ્મરણથી કૃતાર્થ થવાનો આજે અવસર છે.

શ્રી દામોદરદાસજીનો જન્મ સં. ૧૫૩૧માં મહાસુદ ચોથના દિવસે થયો હતો. શ્રીમહાપ્રભુજીના પ્રાકટ્ય સમયે તેમની ઉંમર લગભગ પાંચ વર્ષની હતી અને પોતાના પિતાજી થીરદાસની સાથે તે સમયે તેઓ ચંપારણ્ય ગયેલા પણ ખરા. શ્રીવલ્લભના પ્રાકટ્યનો અલૌકિક મહોત્સવ ઉજવાયો હતો તેનાં દર્શન તેમણે કરેલાં.

બાળપણથી તેઓ સંસારથી અલિપ્ત હતા. હસતા – રમતા નહિ. ભોજનની પણ પરવા ન કરતા. આખો દિવસ ઝરૂખામાં બેસી પોતાના પ્રાણપ્રેષ્ઠ વલ્લભની પ્રતીક્ષા કરતા અને એક દિવસ શ્રીવલ્લભનાં વર્ધાના રાજમાર્ગ ઉપરથી પધારતાં દર્શન થયાં કે તરત શ્રીવલ્લભ પાસે જઈ દંડવત્ પ્રણામ કર્યાં. શ્રીવલ્લભે પૂછ્યુઃ “દમલા, તું આવ્યો?” સાંભળતાં જ દામોદરદાસજી શ્રીવલ્લભની સાથે ચાલી નીકળ્યા.

પછી તો સમગ્ર જીવનપર્યંત શ્રીવલ્લભ અને શ્રીવિઠ્ઠલની સેવામાં જ રહ્યા. શ્રીવલ્લભે શ્રીઠાકોરજીની બ્રહ્મસંબંધની આજ્ઞા સિદ્ધાંતરહસ્ય ગ્રંથ રચી તેમને સમજાવી. એ દ્વારા પ્રભુની આજ્ઞાનું રહસ્ય તેમના હૃદયમાં સ્પષ્ટ કર્યું.

શ્રીવલ્લભ જ્યારે જ્યારે સમય મળે ત્યારે દામોદરદાસની સાથે ભગવદ્​લીલાનું ચિંતન કરતા. ભગવદ્​વાર્તામાં તલ્લીન બની જતા. અવારનવાર આજ્ઞા કરતા – દમલા, ભગવદ્​વાર્તા કર્યે ઘણો સમય થઈ ગયો છે અને શ્રીઠાકોરજીના વિપ્રયોગમાં શ્રીવલ્લભ લીન થઈ જતા.

દામોદરદાસજી ગોવિંદ કરતાં ગુરુની શ્રેષ્ઠતા માનતા. શ્રીનાથજીબાવાએ તે માટે તેમની કસોટી પણ કરેલી અને કસોટીમાં તેઓ સંપૂર્ણપણે પાર ઉતરેલા.

શ્રીમહાપ્રભજીએ આસુરવ્યામોહ લીલા કરી ત્યારે શ્રીગુસાંઈજી યુવાન હતા. તેમનાં માતૃચરણોએ આજ્ઞા કરેલી કે પુષ્ટિમાર્ગ વિશે આપને જે કંઈ જાણવું હોય તે દામોદરદાસને પૂછજો, કારણ તમારા પિતૃચરણે તેમના હૃદયમાં પુષ્ટિમાર્ગ દૃઢ રીતે સ્થાપન કર્યો છે.

શ્રીમહાપ્રભુજી આસુરવ્યામોહ લીલા પછી દર ત્રીજા દિવસે દામોદરદાસને પોતાના અલૌકિક સ્વરૂપે દર્શન આપતા. આપશ્રીએ આજ્ઞા કરેલી કે દમલા, તું શ્રીગુસાંઈજીને મારું જ સ્વરૂપ જાણજે. તેમને દંડવત્ કરજે અને તેમનું ચરણોદક લેજે.

દામોદરદાસજી જરૂર પડ્યે શ્રીગુસાંઈજીને પણ શિખામણ આપતા વિનંતી કરતા અને શ્રીગુસાંઈજી તેમની શિખામણ માનતા પણ ખરા. એકવાર શ્રીગુસાંઈજીએ દામોદરદાસજીના ઘેર પધારી તેમના પિતાનું શ્રાદ્ધ કરાવેલું અને દક્ષિણામાં દામોદરદાસજીએ શ્રીગુસાંઈજીને સિદ્ધાંતરહસ્ય ગ્રંથનો દોઢ શ્લોક સમજાવેલો. દામોદરદાસજીએ શ્રીગુસાંઈજીને પુષ્ટિમાર્ગની સેવાપ્રણાલી – નિત્યની અને ઉત્સવની – સમજાવેલી. શ્રીમહાપ્રભુજીના ગ્રંથો દીનતાપૂર્વક સમજાવેલા. તદુપરાંત શ્રીમહાપ્રભુજી સાથે થયેલી ભગવદ્​વાર્તા દામોદરદાસજી શ્રીગુસાંઈજી સમક્ષ કહેતા. પોતાનો દૈન્ય અને દાસભાવ સાચવીને દામોદરદાસજીએ શ્રીગુસાંઈજીને પુષ્ટિમાર્ગનું સર્વ અધ્યયન કરાવ્યું. પોતે ભગવદ્ સ્વરૂપ હોવા છતાં શ્રીગુસાંઈજી શ્રીવલ્લભના સેવક એવા આ ભગવદ્ ભક્તનો ઉત્કર્ષ પ્રકટ કરવા સર્વ કાંઈ તેમને પૂછીને જ કરતા !

આવા દામોદરદાસજી પૃથ્વી ઉપર ૭૭ વર્ષ સુધી બિરાજ્યા. સં. ૧૬૦૭માં નિત્યલીલામાં પધાર્યા.

જેમનું હૃદય શ્રીવલ્લભની અલૌકિક ભગવદ્​વાર્તાની રસવર્ષા દ્વારા નિરંતર ભગવદ્ રસથી ભરેલું રહેતું એવા ભક્તશિરોમણી મહાનુભાવ પુષ્ટિસૃષ્ટિ અગ્રેસર શ્રી દામોદરદાસજીને આજના તેમના પ્રાકટ્ય દિવસે કોટિ કોટિ વંદન કરીએ.

(રાગ – સારંગ)

આજ બધાયો મંગલચાર,

માઘ માસ શુક્લ ચોથ હૈ, હસ્ત નક્ષત્ર રવિવાર. (૧)

પ્રેમસુધાસાગર રસ પ્રકટ્યો, આનંદ બાઢ્યો અપાર,

દાસ રસિક જન જાય બલિહારી, સરબસ દિયો બાર. (૨)

(સ્વર – શ્રી ભગવતી પ્રસાદ ગાંધર્વ)

શ્રી વસંતવિહારી લાલકી જય.


શ્રી વસંતવિહારી લાલકી જય.

વસંતવિહાર કરવા માટે આપણે અહીંથી નીકળીને વ્રજભૂમિમાં પહોંચી જઈએ. આ વ્રજની રંગલીલા છે. આ વ્રજની રસલીલા છે. આ રંગલીલા અને રસલીલા કેવળ પ્રભુને આનંદ આપવા માટે છે. ભગવાનથી આનંદ મેળવવો એ એક વસ્તુસ્થિતિ છે અને આનંદસિંધુ પ્રભુને આનંદ આપવો એ બીજી પરિસ્થિતિ છે. આમ જુઓ તો આ રસલીલા આદાન અને પ્રદાનની છે. આનંદ લેવો અને આનંદ આપવો એ બે બાબત છે. ભક્તો પ્રભુ માટે પોતાનું બધું લૂંટાવી દે છે તો પ્રભુ પોતે પણ લૂંટાઈ જાય છે. પરસ્પર સમર્પણની લીલા એટલે આ વસંતોત્સવની લીલા.

વસંતપંચમી એ મદનપંચમી છે. કામદેવના  રતિના પ્રાગટ્યની પંચમી છે. નિર્ણયામૃત પુરાણસમુચ્ચય નામના ગ્રંથમાં આજ્ઞા કરી છે કે

માઘ માસે નૃપશ્રેષ્ઠ શુક્લાયાં પંચમી તિથૌ ।

રતિકામૌ તુ સંપૂજ્ય કર્તવ્યઃ સુમહોત્સવઃ ।।

મહા મહિનાની સુદ પંચમીના દિવસે રતિકામનો (બંનેનો) ઉત્સવ કરવો જોઈએ. એની ટીકામાં શ્રીપુરુષોત્તમજીએ આજ્ઞા કરીઃ અત્ર ઉત્સવા દિના ભગવદ્‌ તોષઉક્તેઃ ભગવદિયૈઃ સાક્ષાત્‌ મન્મથમન્મથઃ સલક્ષ્મીક ભગવાન્‌ પૂજ્યઃ ।

સાક્ષાત્‌ કામદેવના સ્વરૂપમાં અહીં કૃષ્ણની જ પૂજા કરવામાં આવે છે. ગોપીજનો માટે કામદેવ બીજો કોઈ નથી. કૃષ્ણ જ છે અને તે પણ ‘સલક્ષ્મીકઃ’ રાધા વગરની માધવની લીલા તો અધૂરી હોય. રાધા સહિત માધવનો ઉત્સવ એ આ વસંતોત્સવ છે. રસિકોત્સવ છે.

આ મદનમહોત્સવનો પ્રારંભ ક્યારથી થયો? શું આ પાંચમથી જ થયો? ના. શરદચાંદ્ર ઋતુ દાનએકાદશીના દિવસથી શરૂ થાય છે, એટલે મદનમહોત્સવનો પ્રારંભ દાનએકાદશીથી થાય છે. દાનએકાદશીથી પ્રારંભ થયેલો આ ઉત્સવ ઠેઠ દોલોત્સવ સુધી ચાલે છે. ત્યાં સુધી અદ્‌ભુત અલૌકિક આનંદની એક રસયાત્રા ચાલે છે. કન્યામાં જ્યારે સૂર્ય આવે ત્યારે સૌર શરદઋતુનો પ્રારંભ થાય છે. ચાંદ્ર શરદઋતુમાં દાનલીલા શરૂ થઈ. સૌર શરદઋતુમાં રાસલીલા શરૂ થઈ. વસંત સંપાતબિંદુ – તમે જો પંચાંગની અંદર જોશો તો રેવતી અને અશ્વિની નક્ષત્રની વચ્ચે આવે છે. આ બેની વચ્ચે જ્યારે સૂર્ય પહોંચે ત્યારે, એટલે કે મેષમાં સૂર્ય પહોંચે તે પહેલાં, મેષ સંક્રાન્તિ પહેલાં આ વસંત સંપાતબિંદુ શરૂ થાય છે.

મધુમાધવમાસો – ચૈત્ર અને વૈશાખ એ બે માસ વસંતઋતુના છે. આપણો ચૈત્ર નહિ, પણ વ્રજનો ચૈત્ર-ફાગણ વદથી વ્રજનો ચૈત્ર માસ શરૂ થાય. એમાં ચૈત્ર વદ અને પછી ચૈત્ર સુદ આવે.

ચાંદ્ર શરદઋતુમાં એક પ્રણયલીલાનો પ્રારંભ થાય છે. આ પ્રણયલીલામાં ભગવાન ધીરે ધીરે ધીરે ભક્તોના હૃદયની અંદર પોતાનો ઉદ્દીપનભાવ જણાવે છે. શાસ્ત્રોમાં કહ્યું છે કે જ્યારે પહેલો પ્રેમ શરૂ થાય ત્યારે ‘ચક્ષુપ્રીતિઃ’ આંખથી પ્રેમ શરૂ થાય. અને દાનલીલામાં તમે જોશો તો પહેલી દૃષ્ટિ શ્રીઠાકોરજીની શ્રીચંદ્રાવલીજી ઉપર પડી. ગોવર્ધનના શિખરે બિરાજ્યા હતા. ચંદ્રની આવલી એટલે હજારો ચંદ્રોની કિરણાવલીઓ જેટલું સૌંદર્ય જેના મુખારવિંદ ઉપર પથરાયું છે એનું નામ ચંદ્રાવલી.

વસંત ઋતુ હોય કે દાનલીલાની ઋતુ હોય, આ બંને લીલાઓ પરકીયા ભાવવાળી છે. સ્વામિની ભાવ વિશિષ્ટ સ્વકીયાભાવ અને સ્વામિનીભાવ વિશિષ્ટ પરકીયાભાવ – આવા બે ભાવ છે. તેમાં ભક્તો કોઈ પરકીય નથી. બધા જ ભક્તો પ્રભુની લીલામાં પોતાના છે. પરંતુ રસસ્તુ પરકીયાનામ્‌ એવ સિદ્ધઃ  એ ભાવનાથી શ્રીચંદ્રાવલીજી પરકીયા ભાવવાળાં સ્વામિનીજી છે, અને શ્રીસ્વામિનીજી એ સ્વકીયાભાવ વિશિષ્ટ સ્વકીયા-ભાવવાળાં સ્વામિનીજી છે. આ બંને ભાવો તમે દાનલીલામાં જોશો અને વસંતલીલામાં પણ જોશો. કારણ કે દાનલીલામાં આ બંને ભાવોનું દાન કરીને અને વસંત લીલામાં પણ આ બંને ભાવોનું દાન કરીને પ્રભુ પોતે એમના દ્વારા પરમ આનંદનો અનુભવ કરે છે.

(ક્રમશઃ)

શ્રી અષ્ટાક્ષર મંત્રનો અર્થ શો થાય?


‘શ્રીકૃષ્ણઃ શરણં મમ’ તે અષ્ટાક્ષર મંત્ર છે. તેનો અર્થ એવો છે કે શ્રીકૃષ્ણ જ મારું શરણ છે. એટલે કે હું શ્રીકૃષ્ણનું શરણ સ્વીકારું છું. શરણ શબ્દના ઘણા અર્થ છે. તેમાં ત્રણ મુખ્ય અર્થ છે. શરણ એટલે આશ્રય, ઘર અને રક્ષક. આ ત્રણે અહીં લાગુ પડે છે. શ્રીકૃષ્ણ જ મારો આશ્રય છે. એટલે કે હું જ શ્રીકૃષ્ણનો જ છું. મારું સર્વ કંઈ શ્રીકૃષ્ણ જ કરશે. મારા કોઈ નાના મોટા સ્વાર્થ માટે હું શ્રીકૃષ્ણને છોડીને બીજા કોઈ પાસે જઈશ નહિ. શ્રીકૃષ્ણ સર્વસમર્થ છે, તેથી તેઓ જ મારી રક્ષા કરશે. તેઓ મારા રક્ષક છે. તેમની રક્ષા કરવાની શક્તિમાં મને દ્રઢ વિશ્વાસ છે. જેમ ઘર માણસને રક્ષણ આપી નિર્ભય બનાવે છે અને સુખ આપે છે, તેમ શ્રીકૃષ્ણના ચરણકમળોમાં જ મારું નિવાસસ્થાન છે તેમના ચરણારવિંદની છત્રછાયામાં હું સંપૂર્ણ રીતે સુરક્ષિત અને નિર્ભય છું. મને ત્યાં કોઈપણ પ્રકારનો ડર નથી. ‘શ્રીકૃષ્ણ શરણં મમ’ મંત્રનો આવો અર્થ છે.

આ મંત્રમાં ‘શ્રીકૃષ્ણઃ’ શબ્દ વાપરવામાં આવ્યો છે. શ્રીકૃષ્ણ એટલે ગોકુલમાં નંદયશોદાના ત્યાં, યશોદાજીની કૂખે પ્રગટ થયેલા સાક્ષાત પૂર્ણપુરષોતમ ભગવાન. શ્રીકૃષ્ણ કેવળ ભગવાનનું જ વિશેષ નામ જ નથી. કૃષ્ણ શબ્દ ભગવાનના ગુણ બતાવનાર છે. ઉપનિષદમાં કૃષ્ણ શબ્દનો અર્થ આપવામાં આવ્યો છે. તે બે શબ્દોનો બનેલો છે. કૃષ + ણ. ‘કૃષ’ એટલે સર્વશક્તિમાન અને ‘ણ’ એટલે પરમાનંદ. જે સર્વથી વિશેષ શક્તિમાન છે અને પરમાનંદ – સ્વરૂપ છે તે પરમાત્મા એટલે કૃષ્ણ. તેમના જેટલા શક્તિમાન અને આનંદસભર કોઈ દેવ કે મનુષ્ય નથી એટલે પરમાત્મા શ્રીકૃષ્ણ આપણું જેટલું રક્ષણ કરી શકે અને આનંદનું દાન કરી શકે, એટલું અન્ય કોઈ કરી શકે તેમ નથી. માટે આવા સર્વોચ્ચ અને સર્વોપરી પરમાત્મા, જે ગોકુલમાં કૃષ્ણ સ્વરૂપે પ્રગટ થયા છે, તેમનું શરણ હું સ્વીકારું છું. શ્રી એટલે લક્ષ્મી અથવા સ્વામિની. લંક્ષ્મી ભગવાનના પત્ની છે. નિત્યલીલામાં શ્રી રાધિકાજી, લક્ષ્મી – સ્વરૂપા છે. આમ, શ્રીકૃષ્ણ એટલે યુગલ સ્વરૂપ. આ યુગલ સ્વરૂપ જ મારું સર્વસ્વ છે, એવો ભાવ આ મંત્રનો છે.

‘કૃષ્ણ’ શબ્દનો એક બીજો અર્થ શાસ્ત્રોએ બતાવ્યો છે. ‘કૃષ્’ એટલે ખેચવું અથવા આકર્ષવું. ‘ણ’ એટલે આનંદ. જે પોતાના લૌકિક આનંદ – રસાત્મક – સ્વરૂપથી જીવોને પોતાના તરફ આકર્ષીને પોતાનામાં જોડી રાખે છે,  તે શ્રીકૃષ્ણ. આવા શ્રીકૃષ્ણને શરણે હું છું, એવો ભાવ પણ વિચારવો જોઈએ.

દરેક મંત્રને એક બીજ મંત્ર હોય છે. જેમ બીજમાં પરોક્ષ રીતે આખું વૃક્ષ છુપાયેલું હોય છે, તેમ બીજમંત્રમાં આખો મંત્ર પરોક્ષ રીતે રહેલો હોય છે. મંત્ર સાધનામાં બીજમંત્રનું ઘણું મહત્વ હોય છે. અષ્ટાક્ષર મંત્રમાં શ્રી અક્ષર બીજમંત્ર છે. બીજમાંથી જ અલૌકિક રસાત્મક પૂર્ણ પુરૂષોત્તમ પ્રગટ થયા છે. માટે આ અષ્ટાક્ષર મંત્રના પ્રારંભમાં બીજ મંત્ર મુકવામાં આવ્યો છે.

મંત્રને જેમ બીજ મંત્ર જરૂરી છે, તેમ તેના દેવતા પણ જરૂરી છે. દેવતા એટલે મંત્રમાં બિરાજમાન પ્રભુનું અલૌકિક સ્વરૂપ, જે મંત્ર રૂપે આપણા મન – હૃદયમાં સદા રમણ કરે છે. અષ્ટાક્ષર મંત્રના દેવતા શ્રીયશોદાનંદન પૂર્ણપુરુષોત્તમ રસ સ્વરૂપ શ્રીકૃષ્ણ છે.

મંત્રનો વિનિયોગ અને મંત્રનું ફળ હોય છે. આ અષ્ટાક્ષર મંત્રનો વિનિયોગ, લૌકિક દુઃખોના નિવારણ અને લૌકિક સુખો મેળવવા માટે નથી. તેનો વિનિયોગ ભગવાનનું દ્રઢ શરણ ગ્રહણ કરવા માટે છે. તેનું ફળ ભગવાનના સંયોગ સુખનો અનુભવ છે. આ મંત્ર સિદ્ધ થતાં સાક્ષાત ભગવાનનો રસાનુભવ પ્રાપ્ત થાય છે.

શ્રીગુંસાઈજીના એક સેવકનો પ્રસંગ છે. શ્રીગુંસાઈજીએ તેમને નામમંત્ર આપ્યા બાદ આજ્ઞા કરી કે તમે શ્રીગિરીરાજજીની તળેટીમાં દંડવતી શિલા સામે બેસીને છ મહિના સુધી અષ્ટાક્ષર મંત્રનો દીનતા, શ્રદ્ધા અને નિષ્કામ ભાવથી જપ કરો. તે વૈષ્ણવ તે પ્રમાણે જપ કરતાં, તેમને સદેહે પ્રભુની અલૌકિક લીલાનાં દર્શન થવા લાગ્યા.

શ્રીગુસાંઈજી આજ્ઞા કરે છે કે, આ મંત્ર અલૌકિક સામર્થ્યવાન હોવાથી પ્રભુના સાક્ષાત અનુભવનું શ્રેષ્ઠ ફળ તો આપે જ છે, પરંતુ સાથે સાથે વગર માગે જગતનાં દુઃખ દૂર કરી આવશ્યક લૌકિક સુખ પણ આપે છે. માટે આ મંત્રને વૈષ્ણવોએ પોતાનું સર્વસ્વ માનીને પૂરી શ્રદ્ધાથી તેનો જપ કરવો જોઈએ.

શ્રીગુસાંઈજીએ આ મંત્રના આઠેય અક્ષરોનું રહસ્ય સમજાવ્યું છેઃ

‘શ્રી’ એટલે શ્રી સ્વામિનીજી. તેઓ અલૌકિક લક્ષ્મી છે. તેઓ પોતાના ભક્તોને બીજમંત્ર – જપના ફળરૂપે સાક્ષાત્ શ્રીઠાકોરજીનું દાન કરી, જીવને અવિચલ અલૌકિક સૌખ્ય આપે છે. એ જીવને વ્રજભક્તનું દિવ્ય સૌભાગ્ય મળે છે. તેના માથે શ્રીઠાકોરજી જેવા પતિ બિરાજવાથી, તે લૌકિકમાં પણ ધનવાન બને છે. સામાન્ય રીતે લૌકિક ધન આખરે તો દુઃખરૂપ હોય છે. પ્રભુ કૃપાથી મળેલી સંપત્તિ પ્રભુની સેવામાં વપરાતા દુઃખરૂપ બનતી નથી, યશ અપાવનારી બને છે. ‘શ્રી’ મંત્રાક્ષરના પ્રભાવથી        તે વ્યક્તિ રાજાને પ્રિય બને છે. સમાજમાં તેના માન – પ્રતિષ્ઠા વધે છે, છતાં તેથી તેને અભિમાન રૂપી અર્નથ થતો નથી.

‘કૃ’ અક્ષર સમસ્ત પાપોનો નાશ કરે છે. અજાણતામાં થઈ ગયેલા સર્વ અપરાધો ‘કૃ’ ના ઉચ્ચારથી નિવૃત્ત થાય છે.

‘ષ્ણઃ’ અક્ષરના પ્રભાવથી આધિભૌતિક, આધ્યાત્મિક અને આધિદૈવિક એવા ત્રણે તાપ શાંત થાય છે. આધિ – વ્યાધિ – ઉપાધિમાંથી જીવ મુક્ત થાય છે. તેના મનની વ્યગ્રતા દૂર થાય છે.

‘શ’ અક્ષરના પ્રભાવથી જન્મ અને મરણમાંથી અને કર્મફળમાંથી મુક્તિ મળે છે. જગતમાં જન્મેલો જીવ કર્મ કર્યા વિના એક ક્ષણ પણ રહી શકતો નથી. કર્મના મુખ્ય ત્રણ પ્રકાર છે. ક્રિયામાણ, પ્રારબ્ધ અને સંચિત. આ જન્મમાં કરવામાં આવતા કર્મ ક્રિયામાણ કર્મ કહેવાય છે. પૂર્વજન્મના કરેલા કર્મોના ફળ રૂપે જે સારા-ખોટાં કર્મો આ જન્મમાં ભોગવવા પડે, તે પ્રારબ્ધ કર્મ કહેવાય છે. પૂર્વજન્મોનાં અને આ જન્મનાં જે કર્મો ભવિષ્યના જન્મોમાં ભોગવવા પડે, તે સંચિત કર્મો કહેવાય છે. આ સંચિત કર્મોના પરિણામે જન્મ-મરણનું ચક્કર ચાલ્યા કરે છે. અષ્ટાક્ષરમંત્રના ‘શ’ અક્ષરના પ્રભાવથી જન્મ-મરણમાંથી મુક્તિ મળે છે.

‘ર’ અક્ષરના પ્રભાવથી પ્રભુના સ્વરૂપનું સાચું જ્ઞાન થાય છે. પ્રભુના સ્વરૂપનું જ્ઞાન થવું, એ બહુ મોટી સિદ્ધિ છે. તેના જ્ઞાનને લીધે જીવ અન્ય લૌકિક કર્મોમાં ફસાતો નથી.

‘ણં’ અક્ષરથી પુષ્ટિભક્તિની પ્રાપ્તિ થાય છે. પુષ્ટિભક્તિ સાધનોથી મળતી નથી. પ્રભુકૃપાથી મળે છે. પુષ્ટિભક્તિમાં ભગવાન પ્રત્યે દ્રઢ અનન્યતા અને તેમના સુખનો ભાવ મુખ્ય છે. પુષ્ટિભક્તિનું ફળ સાક્ષાત્ ભગવદ્પ્રાપ્તિ છે.

‘મ’ અક્ષરના પ્રભાવથી ગુરુદેવમાં પ્રીતિ થાય છે. ગુરુકૃપાથી ભગવાનનું જ્ઞાન અને ભગવાન બંને પ્રાપ્ત થાય છે.

‘મ’ અક્ષરના પ્રભાવથી પુષ્ટિભક્તિનું અલૌકિક ફળ પ્રાપ્ત થાય છે. પુષ્ટિભક્તિના ત્રણ ફળ છે. મુખ્ય ફળ અલૌકિક સામર્થ્ય છે. મધ્યમ ફળ સાયુજ્ય મોક્ષ છે. કનિષ્ઠ ફળ સેવાપયોગી દેહ છે. અધિકાર પ્રમાણે આ ત્રણ પૈકી એક ફળ પ્રાપ્ત થાય છે.

આ મંત્રનું મહત્વ સમજાવતાં શ્રીગુસાંઈજી આજ્ઞા કરે છે કે, જે જીવ શ્રદ્ધાથી અને ભક્તિથી આ મંત્રનો જપ કરે છે, તેને જગતમાં વૈરાગ્ય પ્રાપ્ત થાય છે. લૌકિક અને અલૌકિક અષ્ટસિદ્ધ અને નવનિધિ પ્રાપ્ત થાય છે. શ્રીપૂર્ણપુરુષોત્તમની પુષ્ટિભક્તિ પ્રાપ્ત થતાં અલૌકિક પરમાનંદનો અનુભવ થાય છે. આ સિદ્ધિદાયક મંત્રના પ્રભાવથી ભૂત, પ્રેત, પિશાચ આદિનો ભય રદેતો નથી. કોઈ સંકટ આવતું નથી. આવેલા સંકટ દૂર થાય છે. શત્રુ મિત્ર બની જાય છે. મેલી વિદ્યાનો પ્રભાવ થતો નથી. ગ્રહપીડા નાશ પામે છે, હૃદયની મલિનતાઓ દૂર થાય છે. સમસ્ત સંકટો દૂર થાય છે. શ્રીઠાકોરજી સદા તેના હૃદયમાં બિરાજે છે.

 Read more…
“વસંતોત્સવ – જગ હોરી, વ્રજ હોરા” (ભાગ-૧)
admin
Feb 17, 8:07 AM
પુષ્ટિમાર્ગીય ઉત્સવપરંપરામાં વસંતોત્સવનું આગવું મહત્વ છે. વસંતને ઋતુરાજ કહ્યો છે. વસંત ઋતુના માસ તો છે ફાગણ અને ચૈત્ર, પરંતુ આપણે ત્યાં વસંતોત્સવ શરૂ થાય વસંતપંચમીથી. કારણ શાસ્ત્રોમાં કહ્યું છે કે દરેક ઋતુનું ગર્ભાધાન ૪૦ દિવસ પહેલાંથી થાય. પરિણામે પુષ્ટિમાર્ગમાં ૪૦ દિવસ પહેલાંથી વસંતોત્સવની ઉજવણી શરૂ થાય. વ્રજભક્તો સાથે પ્રભુ ૪૦ દિવસ હોરી ખેલે. ભગવદીયો હોરીખેલની એ રસલીલાનાં દર્શન કરી તેનો સુખાનુભવ કરે, એ લીલાનું ગાન કરે અને એ કીર્તનો દ્વારા આપણા જેવા જીવોને પણ એ દર્શન કરાવે.

શીતકાલને વિદાય આપવાનો અને નવા શણગાર સજતી પ્રકૃતિને આવકારવાનો આ ઉત્સવ છે. કામદેવનો જન્મદિવસ એટલે વસંતપંચમી. પરિણામે આ ઉત્સવને મદન મહોત્સવ પણ કહેવાય. પ્રિયા-પ્રિયતમને રસભર્યા વ્રજભક્તો હોરી ખેલાવે. ૪૦ દિવસ સુધી અબીલ, ગુલાલ, ચોવા, ચંદન, કેસર રંગથી રંગી દે. હોરીની વિવિધ રસભરી ગારી (ગાળો) પણ ગાય! વિવિધ વાદ્યોના તાલ સાથે રંગભર્યા ગોપગોપી ઝૂમે. પ્રિયા-પ્રિયતમ પરસ્પર પણ હોરી ખેલે. વળી કોઈવાર ગોપીજનો શ્રીઠાકોરજીને પોતાના ઝૂંડમાં લઈ જઈ સખીવેશ પણ પહેરાવી દે. ફગુવા લઈને જ છોડે.

આવી રસમય લીલાઓનું આપણા અષ્ટછાપ અને બીજા ભગવદીયોએ પણ કીર્તનોમાં સુંદર વર્ણન કર્યું છે. એ કીર્તનોના ગાન અને તેનો રસાસ્વાદ કરાવવાનો એક કાર્યક્રમ – “વસંતોત્સવ – જગ હોરી, વ્રજ હોરા” નામે મુંબઈમાં પ્રેમપુરી અધ્યાત્મ કેન્દ્રમાં યોજાયો હતો. પૂ. પા. ગો. ૧૦૮ શ્રી ઈન્દિરા બેટીજી મહોદયાએ પોતાની મધુર લાક્ષણિક, શૈલીમાં વ્રજની એ હોરીલીલાનો કીર્તનો દ્વારા સુંદર રસાસ્વાદ કરાવેલો. અત્રે પ્રસ્તુત છે એ વચનામૃતનું સંકલિત રૂપાંતર.

“વસંતોત્સવ – જગ હોરી, વ્રજ હોરા” (ભાગ-૨)






“વસંતોત્સવ – જગ હોરી, વ્રજ હોરા” (ભાગ-૨)

પહેલાં ચક્ષુપ્રીતિ થાય છે. પ્રેમ કઈ રીતે પ્રવૃત્ત થાય એની એક પ્રક્રિયા શાસ્ત્રોએ બતાવી છે. લાગાલાગી લોચન કરે નાહક મન જરી જાય. પછી મનસંગઃ થાય. જે વસ્તુ આંખોથી મનમાં-અંતરમાં ઉતરી હોય એ મનની અંદર ઘોળાયા કરે. એટલે આસક્તિ વધે. પછી સંકલ્પોત્પત્તિ થાય. સતત પ્રેમીને મળવા માટે મનમાં સંકલ્પો થયા કરે. એ મળવાનો રસ્તો શોધ્યા કરે. મળવા માટે અનેક પ્રકારના સંકલ્પો એના ચિત્તમાં જાગે. ત્યારપછી ચોથી દશા આવે છે નિદ્રાઉચ્છેદઃ. રાત્રે ઊંઘ જ ન આવે. ઊંઘ કદાચ આવે તો પણ સ્વપ્નમાં યે એનું એ જ દેખાય. નિદ્રા ઉચ્છેદ એ વ્યસન દશા છે કારણકે આસક્તિ પછી વ્યસન દશા આવે છે. નિદ્રા ઉચ્છેદમાં કાલ, કર્મ અને સ્વભાવ ત્રણેયની મર્યાદાઓનો નાશ થાય છે.

તમે કલાકોના કલાકો સુધી એને માટે કાંઈને કાંઈ કર્યા કરો. પછી તે સામગ્રી બનાવો, સુંદર વસ્ત્રો અને સાજ બનાવો, આરતી બનાવો કે માળાજી બનાવો. સમય ક્યાં જાય તેની ખબર જ ન પડે. વારેઘડીએ ઘડિયાળ સામે જોવું ન પડે કે કેટલા વાગ્યા, કેટલા વાગ્યા. બોલો, આજે આપણને આવું થાય છે? ૧૫ મિનિટની સેવા હોય તો પણ એમ થાય છે કે ક્યારે જલ્દી પૂરી થાય!

કારણકે હજુ આપણામાં અરતિ છે, વિરતિ છે. એ પ્રેમની ઉત્પત્તિ જ થઈ નથી. કાલમર્યાદા જેમ તૂટી જાય છે તેમ કર્મમર્યાદા પ્રેમ થતાં તૂટી જાય છે. કર્મને લીધે કોઈ પતિ, કોઈ ભાઈ, કોઈ મા, કોઈ બાપ, આ બધાંની આપણને મર્યાદાઓ છે. આપણું મન એમાં જાય છે. થોડીવાર ઠાકોરજીમાં લાગે વળી થાય પેલાની નિશાળનો ટાઈમ થશે. જલદી દોડો. પરંતુ પ્રભુમાં જ્યારે પ્રીતિ પ્રગાઢ બને ત્યારે કર્મમર્યાદાઓ ભૂલાઈ જાય છે. શું થયું અને શું નહિ થયું તેનો ખ્યાલ ન રહે. જેને જે કરવું હોય તે કરે. કોણ કેટલું બોલે છે કાંઈ સાંભળવાનું નહિ. સ્વભાવની મર્યાદા પણ આવે. આપણે આપણા સ્વભાવથી જ્ઞાન, ક્રિયા અને ઈચ્છા કરીએ છીએ. આપણી ઈચ્છા, આપણી ક્રિયા, આપણું જ્ઞાન આ બધું જેમાં ભૂલાઈ જાય. આપણે એટલે આપણે એક નામધારી, એક દેહધારી નહિ પરંતુ આપણે એક જીવ સ્વરૂપ રહી જઈએ. એમાં ભગવદિચ્છા, ભગવદ્‌જ્ઞાન અને ભગવદ્‌રૂચિનો પ્રકાર જાગી જાય. ત્યારપછીની દશા આવે છે વિષયેભ્યોવાવર્તનમ્‌. પછી કોઈ વિષયમાં મન ન લાગે. આ કનૈયો છે જ એવો. એનું નામ કૃષ્ણ છે. એ આકર્ષણ કરે છે. પોતાની તરફ ખેંચે છે.

તન્મનસ્કાઃ તદાલાપાઃ તદ્‌વિધેષ્ટા તદાત્મિકાઃ ।

તદ્‌ગુણાનેવ ગાયન્ત્યો નાત્માગારિણી સત્સ્મરોઃ ।।

તન્મનસ્કાઃ મનને પૂછો કે તારી અંદર બીજું કોઈ છે, કૃષ્ણ વગર? તો મન કહેશેઃ મન બીજે ક્યાં જશે?

મન ન ભયે દસવીસ, એક હતો સો ગયો શ્યામસંગ

કો આરાધે ઈશ, મન ન ભયે દસવીસ.

તદાલાપાઃ વાતો કરે તોયે પ્રિયતમની જ કરે. ગુસપુસ કરે તો પણ પ્રિયતમની અને ચેષ્ટાઓ કરે તો પણ પ્રિયતમની લીલાઓની કરે.

તદાત્મિકાઃ ઘર  દેહ ગેહ બધું ભૂલાઈ જાય. ત્યાર પછી બે દશા આવે છે. લજ્જાપ્રનાશઃ અને ઉન્માદઃ. પછી કોઈ જાતની લજ્જા રહેતી નથી. સાસુ, નણંદ, સમાજ શું કહેશે, દુનિયા શું કહેશે તેની ચિંતા રહેતી નથી. દુનિયાને જે કહેવું હોય તે કહે. હોં તો ચરનકમલ લપટાની. કોઉ વંદો કોઉ નિંદો. સખિ, કોઈ મારી નિંદા કરે કે કોઈ મને વંદન કરે. મને કોઈની પડી નથી. હું તો પ્રભુના ચરણકમલમાં લપટાણી છું. આ ભાવ એના હૃદયમાં આવે છે.

અને આ ભાવનાં તમારે દર્શન કરવા હોય તો એ ભાવ વસંતલીલામાં આવે છે. ઉન્માદઃ અને લજ્જાપ્રનાશઃ. કોઈપણ જાતની સમાજની મર્યાદા વગર ઠાકોરજી પોતાના રંગથી ભક્તોને રંગે છે અને ભક્તો પોતાના રંગોથી ઠાકોરજીને રંગે છે. ત્યારપછી આવે છે ઉન્માદ. પ્રેમનો એક નશો એમના હૃદયની અંદર છવાઈ જાય છે. આ દશામાં જીવ અને બ્રહ્મ એવા બે ભેદભાવ રહેતા નથી. ભક્ત અને ભગવાન એક સમાન કોટિના બની જાય છે. જો આ સમાન ભાવ ન આવે તો ભક્ત પોતાનો રંગ પ્રભુ ઉપર નાખી કેવી રીતે શકે?  ભગવાનના રંગથી તો આપણે રંગાઈએ પણ આપણો રંગ આપણે શ્રીઠાકોરજી ઉપર કેવી રીતે નાખી શકીએ? આજે તમે  દર્શનમાં આવો ત્યારે ઠાકોરજીના રંગોથી રંગાઈ જાઓ પણ સામે થોડા ઝોળીઓ ભરીને રંગ નાખી શકવાનાં છો? અહીં તો સામસામે લીલા થાય છે. જીવ જીવની મર્યાદા ભૂલી જાય છે. બ્રહ્મ બ્રહ્મની મર્યાદા ભૂલી જાય છે. નિર્મર્યાદ બનીને એક ઉન્માદભર્યો ખેલ ચાલે છે. આમાં બે દશા નથી આવતી. એક મૂર્છા નથી આવતી અને મરણ નામની દશા નથી આવતી, કારણ આ પરમ આનંદનો ખેલ છે.

પૂર્ણે અનુગ્રહે જાતે રસાશ્રયઃ  એનામાં પૂર્ણ રસાશ્રય થાય છે. એટલો બધો રસનો આશ્રય હૃદયમાં થાય છે કે પરબ્રહ્મ પરમાત્મા જે રસરૂપ છે તે પોતે પણ ગોપીજનોના ભક્તોના રંગમાં, રાધાજીના રંગમાં, શ્રીચંદ્રાવલીજીના રંગમાં ડૂબી જાય છે.

એટલે કીર્તનરસાસ્વાદ માટે મેં પહેલું કીર્તન પસંદ કર્યું છેઃ આનંદ સિંધુ બઢ્યો હરિ તનમેં । જો આ ભાવ તમે સમજો તો જ આખી વસંતલીલા સમજાશે.

(ક્રમશઃ)




“વસંતોત્સવ – જગ હોરી, વ્રજ હોરા” (ભાગ-૩)


“વસંતોત્સવ – જગ હોરી, વ્રજ હોરા” (ભાગ-૩)
આનંદ સિંધુ બઢ્યો હરિ તનમેં ।

શ્રીશ્યામા પૂરણ શશિમુખ નિરખત, ઉમગ ચલ્યો વ્રજવૃંદાવનમેં ।।૧।।

ઈત રોક્યો જમુના ઉત ગોપી, કછુક ફૈલ પડ્યો ત્રિભુવનમેં ।

ના પરસ્યો કર્મિષ્ઠ અરુ જ્ઞાની, અટક રહ્યો રસિકન કે મનમેં ।।૨।।

મંદમંદ અવગાહત બુદ્ધિબલ, ભક્ત હેત નિત પ્રત છિનછિનમેં ।

કછુક નંદસુવનકી કૃપા તેં સો દેખિયત પરમાનંદ જનમેં ।।૩।।

સમગ્ર વસંતલીલામાં જો આપ જોશો તો ‘આનંદસિંધુ બઢ્યો હરિ તનમેં’  શ્રીકૃષ્ણના રોમરોમમાં આનંદરસ છલકાઈ રહ્યો છે, પરમાનંદ રસ છલકાઈ રહ્યો છે એવું લાગશે. આનંદ અને પરમાનંદ છલકાય છે ત્યારે એક ઉન્માદની દશા આવે છે અને એ ઉન્માદ એવો હોય છે કે આ આનંદ હું કોને આપું? આ આનંદ હું કોને આપું? એટલે એ રસ સમર્પિત થાય છે. વસંતલીલામાં એ પરમાનંદ પ્રભુ ભક્તોને સમર્પિત થઈ જાય છે. ઉન્માદ  એ રસનો નશો પ્રભુ ભક્તને સમર્પિત કરી દે છે. એમાંથી વિપરિત રતિનો પ્રારંભ થાય છે. ભગવાન ભક્તાધીન બને છે.

સોશ્રૃતે સર્વાન્‌ કામાન્‌ સ બ્રહ્મણા વિપશ્ચિતાઃ – અને એ પ્રેમ જગાડવા માટે આ જે પરસ્પર સમર્પણનો ભાવ છે, એ સમર્પણનો ભાવ પરકીયા ભાવની અંદર જે પ્રગટ થયો, એ તમને મળશે દાનલીલાની અંદર.

તુમ નંદમહરકે લાલ જસુમતિ પ્રાણ આધાર, મોહન જાન દે.

ગોવર્ધનકી શિખરતેં મોહન દીની ટેર

અંતરંગસોં કહત હૈ સબ ગ્વાનિ રાખો ઘેર, નાગરી દાન દે.

બહોત દિન તુમ બચ ગઈ હો દાન હમારો માર

આજ હોં લઈ હોં અપનો દિન દિનકો દાન સંભાર, નાગરી દાન દે.

યહ મારગ હમ નિત ગઈ હો કબહૂ સૂન્યો નહીં કાન

આજ નઈ હોત હૈ સો માગત ગોરસ દાન, મોહન જાન દે.

આ બધી શ્રુતિરૂપા ગોપીજનો, જે પરકીયા ભાવવાળી છે, એ કહે છેઃ લાલા, અમે તમને જાણીએ છીએ. તુમ નંદ મહરકે લાલ ઔર જસુમતિ પ્રાણ આધાર. આમ બે અલગ અલગ કેમ કહ્યા? કારણકે તમે એકલા નંદબાવાના લાલ નથી. નંદસુનુ વિશિષ્ટ યશોદાસુનુ તમે નથી. એટલે નંદરાયજીમાંથી તમે યશોદાજીમાં પધાર્યા, જેમ કોઈ પિતા બીજાધાન કરે અને પછી બાળકનો જન્મ માતામાંથી થાય એમ આપ પધાર્યા નથી. આપ નંદજીના લાલ પણ છો અને યશોદાજીના લાલ પણ છો. બંને અલગ અલગ છો. આ વાત ગોપીગીતની અંદર શ્રીમહાપ્રભુજીએ પ્રગટ કરી છે.

ન ખલુ ગોપીકાનંદનો ભવાન્‌ અખિલ દેહીનામ અંતરાત્મ ધૃક્‌ – આપ યશોદાના લાલ પણ છો ને નંદબાવાના લાલ પણ છો. આપ અમારા ભાવમાંથી પ્રગટ થયા છો. આપ અમારા ભાવભાવાત્મક સ્વરૂપ છો.

આવા પ્રભુ આજે શ્રીચંદ્રાવલીજીને ઉપરથી બોલાવી રહ્યા છે. ગોવર્ધનકી શિખરતેં મોહન દીની ટેર. રાખો ઈનકો ઘેર નાગરી દાન દે. અરે, આખી દુનિયા જેની પાસે માગવા જાય એ કૃષ્ણ કનૈયો અહીં ભક્તો પાસે માગે છેઃ નાગરી દાન દે. આ ગોપીઓ કહે છેઃ મહારાજ, યહ મારગ હમ નિત ગઈ. અમે તો શ્રુતિઓ છીએ. સાધનાના માર્ગે અમે બહુ ગયાં. કેટલાંયે ફળ અને અને રસની વાત અમે કરી. કહું સૂન્યો નહિ કાન. પણ આજે તમે જે રસાત્મક લીલાની વાત કરો છો એ અમે શ્રુતિઓમાં ક્યાંય નથી સાંભળી. નેતિ નેતિ નેતિ.

આજ નઈ યહ હોત હૈ સો માગત ગોરસ દાન. આપ અમારી પાસેથી અમારી ગો એટલે ઈન્દ્રિયોના રસનું દાન માગો છો? પ્રિયજનો, અહીં કૃષ્ણ કામ બન્યા છે. કામ બનીને સમગ્ર ભક્તોને સમ્યકતયા ભોગ આપવાની ભાવના કરે છે. જેમાં બધીજ ઈન્દ્રિયોનો રસ હોય. મન સહિત સમગ્ર ઈન્દ્રિયોનો રસ, તે પણ લૌકિક નહિ, અલૌકિક રસ, સમગ્ર જીવનનું જાણે પરિવર્તન થયું હોય.

અત્યારે તો આપણને લૌકિક ભોગ વર્તન કરાવે છે પરંતુ અહીં તો સમગ્ર પરિવર્તન થઈ ગયું છે. કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર આ બધા ‘વેસ્ટ’ છે. જ્ઞાનીઓ કહે છેઃ એને કાઢો, એને કાઢો. એને મારો, એને મારો. અને ભક્તિમાર્ગમાં તો કહે છે ‘વેસ્ટને પણ બેસ્ટ બનાવો.’ આ બધાને ફેંકી દેવાને બદલે ઠાકોરજી સાથે જોડી દો. એને દબાવો એટલે સપ્રેશન. તમે સ્પ્રીંગને દબાવો તો શું થાય? દબે તો ખરી પણ પાછી એવી ઉછળે, એવી ઉછળે કે તમને ફેંકી દે. એટલે સપ્રેશન નહિ પરંતુ સબ્લીમેશનનો માર્ગ અપનાવો. એના ઉર્ધ્વીકરણનો, નવીનીકરણનો માર્ગ અપનાવો. એનું સ્વરૂપ જ બદલી નાખો. આ દુનિયામાં કોઈપણ વસ્તુ એવી નથી કે જેનો કૃષ્ણ અંગીકાર કરતા નથી. સમસ્ત વસ્તુઓનો અંગીકાર કૃષ્ણ કરે છે અને જેમ ગંગાજીમાં મળેલું જળ ગંગારૂપ બની જાય છે એમ કૃષ્ણ સાથે મળેલી તમામ વૃત્તિઓ કૃષ્ણરૂપ બની જાય છે. કૃષ્ણરૂપ બનેલી એ વૃત્તિઓ પછી સંસારને ઉત્પન્ન કરતી નથી.

ભગવાને પોતે જ વેણુગીતના અંતમાં ગોપીજનોને કહ્યું છે કે જેમ બીજ શેકી નાખવામાં આવે તો એમાંથી કોઈ અંકુર ફૂટતો નથી, એવી રીતે એકવાર જેને મારી, મારા પ્રેમની લગની લાગી ગઈ છે તેમનામાં પછી કોઈ દિવસ લૌકિક અંકૂરો ફૂટતા નથી. આ એક અદ્‌ભુત નવીન માર્ગ છે. અલૌકિક માર્ગ છે. જે શ્રીમહાપ્રભુજીએ આપણને આપ્યો છે. જરાપણ આ લીલામાં લૌકિક બુદ્ધિ આવે તો આ રસ મળે નહિ. આ લીલામાં અલૌકિક ભાવ રાખીશું તો જ એનો રસ મળવાનો છે. ગોપીજનોના સ્વરૂપો પણ કેવળ હાડ, ચામ, માંસનું પિંજર રહ્યું નથી. પ્રભુએ એમને વેણુનાદ કરી, સર્વાભોગ્યા સુધાનું પાન કરાવી, એમના રોમ રોમમાં આનંદ સ્વરૂપને નિમગ્ન કરી દીધું છે. હવે પ્રભુ એમની પાસે ગોરસનું દાન માગે છે.

(ક્રમશઃ)

“વસંતોત્સવ – જગ હોરી, વ્રજ હોરા” (ભાગ-૪)


“વસંતોત્સવ – જગ હોરી, વ્રજ હોરા” (ભાગ-૪)
શ્રીગુસાંઈજીએ સંસ્કૃતમાં દાનલીલા લખી છે. એની પૂર્ણાહુતિમાં એમણે એક પંક્તિ લખી છે. ઈતિ શ્રીમદ્‌ વ્રજેશસ્ય તત્પ્રિયાણાં ચ વાંછિતમ્‌ મિત સર્વસ્વ દાનમ્‌ વિઠ્ઠલઃ સ્વાશ્રયે કરો. શ્રી વ્રજેશ અને વ્રજેશની પ્રિયાઓએ પરસ્પર જે દાન કર્યું, એ પોતાના હૃદયમાં બિરાજે એવી શ્રીગુસાંઈજી ભાવના કરે છે.

આવાં ગોપીજનોનો પ્રેમ શ્રીઠાકોરજીમાં સહજ છે. શ્રીઠાકોરજીએ પોતે દાન કરેલો છે. એમની સમગ્ર ઈન્દ્રિયો કૃષ્ણરસમાં સમાઈ ગઈ છે. આ લીલાની સાથે તમે વેણુગીતને જોડી શકો છો. કારણકે વેણુગીતમાં એ ભાવ ગોપીજનોમાં જાગ્યો છે. શ્રીમહાપ્રભુજીએ સુબોધિનીજીમાં પણ કહ્યું છેઃ ભગવતા સહ સંલાપઃ દર્શનં મિલિતસ્ય ચ. બધી જ ઈન્દ્રિયો કૃષ્ણરસમાં ડૂબી જાય. એટલા માટે પરમાનંદદાસજીએ એક બહુ સુંદર કીર્તન ગાયું છેઃ

ભવન છાંડ બન જઈએ યાતે

માઈ ભવન છાંડ બન જઈએ ।

આંખ રસ કાન રસ બાત રસ નંદનંદનપેં પઈએ ।।

આ સમ્યકતયા ભોગ છે. જેમાં બધી ઈન્દ્રિયો જોડાઈ જાય. કામનું સ્વરૂપ શાસ્ત્રોમાં આપવામાં આવ્યું છે. શ્રોત્ર, ત્વક્‌, ચક્ષુ, જિહ્‌વા, ઘ્રાણાનામ્‌ આત્મસંયુક્તેન સમુદિષ્ઠિાતાન્‌ તેષુ તેષુ વિષયેષુ આનુકલ્પક પ્રવૃત્તિ કામઃ. આપણા આંખ, નાક, કાન બધું જ મન સાથે પોતપોતાના વિષયોને લઈને પોતાના પ્રિયતમ સાથે જોડાઈ જાય એનું કામ છે.

આવો કામ ગોપીજનોના હૃદયમાં કૃષ્ણસ્વરૂપે પ્રકટ્યો છે. આ સહજ પ્રીત કૃષ્ણ સ્વરૂપે જાગી છે. સહજ પ્રીત ગોપાલ હી ભાવે.

સહજ પ્રીત ગોપાલ હી ભાવે ।

મુખ દેખે સુખ હોય સખીરી પ્રીતમ નૈનસુ નૈન મિલાવે ।।૧।।

સહજ પ્રીત કમલ ઔર ભાને, સહજ પ્રીત કુમુદિની ઔર ચંદે ।

સહજ પ્રીત કોકિલા વસંતે, સહજ પ્રીત રાધા નંદનંદે ।।૨।।

સહજ પ્રીત ચાતક ઔર સ્વાતિ, સહજ પ્રીત ધરણી જલધારે ।

મન કર્મ બચન દાસ પરમાનંદ, સહજ પ્રીત કૃષ્ણ અવતારે ।।૩।।

પરમાનંદદાસજી કહે છે કે આ પ્રેમ એવો સહજ છે કે જેવી રીતે સૂર્ય અને કમળને સહજ પ્રેમ છે, જેમ કુમુદ અને ચંદ્રની સહજ પ્રીતી છે. પંચમ રાગમાં ગાતી કોયલ અને વસંતઋતુને જેમ સંબંધ છે. રાધા અને નંદનંદનની સહજ પ્રીતિ છે. સ્વાતિના બિંદુ માટે ચાતકની જેવી પ્રીતિ છે, ધરતી અને વાદળની જેમ પ્રીતિ છે, તે જ રીતે મન કર્મ વચનથી પરમાનંદદાસજીની પ્રીતિ શ્રીકૃષ્ણમાં છે.

વસંત ઋતુમાં હોળીખેલના ૪૦ દિવસો આવે છે. આ ૪૦ દિવસોને ૪ વિભાગમાં વિભાજિત કરવામાં આવ્યા. દસ દિવસનો પહેલો તબક્કો, દસ દિવસનો બીજો તબક્કો, દસ દિવસનો ત્રીજો તબક્કો અને દસ દિવસનો ચોથો તબક્કો. સહજ પ્રીત કરનાર ભક્તો ચાર પ્રકારના સ્વભાવવાળા છે. સાત્વિક ભક્તો, રાજસ ભક્તો, તામસ ભક્તો અને નિર્ગુણ ભક્તો. આ ચારેચાર ભક્તોના પ્રતીક સ્વરૂપ વસંતખેલમાં ચાર પદાર્થોનો ઉપયોગ ખેલાવવા માટે કરવામાં આવે છે. ચંદન, ચોવા, ગુલાલ અને અબીલ. સફેદ રંગ સાત્ત્વિક ભાવનો છે. લાલ રંગ રાજસ ભાવનો છે. શ્યામ રંગ તામસ ભાવનો છે. ચંદનીયા રંગ નિર્ગુણ ભાવનો છે. તમે ગમે તેવા રંગ વાપરો પણ ૪૦ દિવસ શ્રીઠાકોરજીને ખેલાવવા માટે આ ચાર રંગો વાપરવા. પછી કેસૂડો વાપરો કે કેસરનો રંગ વાપરો. એ પણ અંતે તો પીળો જ છે.

બીજો ભાવ એવો છે કે ચંદન એ શ્રીસ્વામિનીજીના શ્રીઅંગનો વર્ણ છે. લાલ રંગ સ્વામિનીજીના મુખારવિંદ ઉપર જ્યારે આનંદ વધે છે ત્યારે લાલ લાલ ગુલાબી છવાઈ જાય છે, એનો છે. શ્યામ રંગ શ્રીસ્વામિનીજીની આંખમાં અંજાયેલા કૃષ્ણકાજળનો છે. શ્વેત રંગ આપશ્રીના શ્રીઅંગ ઉપર આનંદની જે કાંતિ વધી છે, એ કાંતિનો રંગ છે. આમ ચોવા, ચંદન, અબીલ, ગુલાલ એ ચાર રંગોથી આપણે આ ભાવથી ખેલાવીએ છીએ.

ચાર યૂથાધિપતિઓ છે. શ્રીયમુનાજી, શ્રીચંદ્રાવલીજી, શ્રી લલિતાજી અને શ્રીસ્વામિનીજી. આમ તો બધા જ ભક્તો દરરોજ સેવા કરે છે. પરંતુ આ બધામાં પણ મુખ્ય કોઈ એક હોય છે. એટલે દસદસ દિવસ જુદા જુદા સ્વામિનીજીની મુખ્ય સેવા છે. પહેલા દસ દિવસ શ્રીયમુનાજીની સેવા છે. જોકે એમની સાથે બીજા ભક્તો પણ જોડાયેલા જ હોય છે. આ દસ દિવસ  વસંતપંચમીથી લઈ મહા સુદ ૧૪ સુધી સૂક્ષ્મ ખેલ થાય છે. કેવળ વસંત રાગ ગવાય છે. બીજા બધા રાગ મહા સુદ પૂનમ  હોળી દંડો રોપાય  ત્યારથી શરૂ થાય. બહાર તમે જો વસંત રાગ જોશો તો એ અલગ રીતનો ગવાય છે. એમાં બે જાતના મ ગવાય છે, પરંતુ આપણે ત્યાં જે વસંતરાગ ગવાય છે. એમાં શુદ્ધ મ ગવાય છે. શ્રીગુસાંઈજીએ આપણે ત્યાં મ પ્રધાન વસંતરાગની શરૂઆત કરી છે. એમ કહેવાય છે કે આ જે સાત સ્વર છે  સા, રે, ગ, મ, પ, ધ, ની – એ જુદા જુદા પક્ષીઓના કેકારવમાં બોલવામાં આવતા સ્વરો છે. ષડજ સા એ મયૂરનો કેકારવ છે. ઋષભ રે ચાતકનો સ્વર છે. ગાંધાર ગ  પછી એ કોમળ હોય કે શુદ્ધ હોય  અજ એટલે બકરાના ગળામાંથી નીકળેલો સ્વર છે. મધ્યમ મ  શુદ્ધ કે તીવ્ર  એ ક્રૌંચ પક્ષીના મુખમાંથી નીકળેલો છે. પંચમ એ કોકિલાના એટલે કે કોયલના મુખમાંથી નીકળેલો છે. ધૈવત એટલે ધ એ શુદ્ધ હોય કે કોમળ  એ મંડૂકના એટલે દેડકાના મોઢામાંથી નીકળેલો છે. નિ  નિષાદ એ હાથીની ચિત્કાર – હાથીનો અવાજ છે. આ જે જુદા જુદા રાગો છે એમાં વાદી ને સંવાદી સ્વરો રસ પ્રમાણે આવે છે. મ અને પ આ બે સ્વરો શૃંગાર અને હાસ્યના પ્રધાન સ્વરો છે.

તમે જાણો છો કે ભરત મુનિએ આઠ પ્રકારના રસ કહ્યા છે. સાહિત્યદર્પણકારે નવ પ્રકારના રસ કહ્યા છે અને ભક્તિમાર્ગમાં દસ પ્રકારના રસ છે. મનુષ્યને પોતાના અંતઃકરણમાં જે રસ એટલે આનંદ આવે છે એ ભક્તિમાર્ગ પ્રમાણે દસ પ્રકારે આવે છે અને દરેકના સ્થાયી ભાવો હોય છે. એ સ્થાયીભાવમાંથી રસની નિષ્પત્તિ થાય છે. તો મ અને પ એ શૃંગાર અને હાસ્યરસના પ્રધાન સ્વરો છે. સા અને રે એ રૌદ્ર અને વીરરસના પ્રધાન સ્વરો છે. મ અને ની એ કરુણરસના પ્રધાન સ્વરો છે. ગ એ બિભત્સ – ભયાનક અને અદ્‌ભુત આ ત્રણ રસના પ્રધાન સ્વરો છે. જ્યારે વસંત રાગની વાત આવી ત્યારે આપણા કુંભનદાસજીએ એક બહુ સુંદર પદ ગાયું છે. તેઓ કહે છે કે ભાઈ, તમે બધા રાગોની વાત કરો, હજારો રાગો છે, તેના જુદા જુદા સંમિશ્રણો પણ છે. પણ ઔર રાગ સબ ભયે બારાતી, દુલ્હે રાગ વસંત જ્યારે જાન ઠાઠમાઠથી નીકળે ત્યારે વરરાજા મુખ્ય હોય તેમ બધા રાગોમાં મુખ્ય રાગ તો વસંત છે. કારણ કે એ આનંદ અને પ્રેમનો રાગ છે.

મદન મહોત્સવ આજ સખીરી બિદા ભયો હેમંત.

હેમંત ગયો અને મદનમહોત્સવ આવ્યો છે

મધુર સ્વર કોકિલ કલ કૂજત બોલત મોર હસંત

ગાવત નાર પંચમ સૂર ઊંચે જૈસે પીક ગુણવંત.

હાથ લઈ કનક પિચકાઈ મોહન ચાલ ચલંત

કુંભનદાસ શ્યામા પ્યારીકો મિલ્યો હૈ ભાવતો કંત.

કંત એટલે સ્વામીકંથ.

આ કીર્તન બહુ પ્રસિદ્ધ છે.

આ દસ દિવસની અંદર પ્રિયા – પ્રિયતમને બિરાજમાન કરી નંદભવનમાં સૂક્ષ્મ ખેલ થાય છે. આ ખેલમાં પરસ્પરનાં સૌંદર્યનું દર્શન છે. આ દિવસોમાં પીચકારી નથી ઊડતી, અબીલગુલાલની અંધિયારી નથી થતી અને ઠાકોરજી પાસે અબીલગુલાલની પોટલીઓ પણ નથી પધરાવવામાં આવતી. છડી અને ગેંદ પણ નથી પધરાવવામાં આવતા. અમારા સૂરતના ઘરમાં આ દસ દિવસ ગ્વાલનાં દર્શન સમયે પ્રભુને ખેલાવવામાં આવે છે. કારણકે આ ઘરનો ખેલ છે.

રાજભોગમાં ખેલ હોળીદાંડાથી શરૂ થશે. કારણ પ્રભુ ઘરેથી નીકળીને પોળ સુધી  એટલે કે ઘરની બહાર ખેલવા માટે પધારશે. એટલે આ ‘પોરી કો ખેલ’ થશે.

વસંતપંચમીના દિવસે કળશનું પૂજન થાય છે. કળશમાં આમ્રમંજરીની ડાળખી, ખજૂરીની ડાળી, સરસવનાં પીળાં ફૂલની ડાળી, યવાંકુર, બોરના ફળ, વિવિધ પ્રકારની કળીઓ અને પુષ્પો વગેરે પધરાવવામાં આવે છે. ઉપર પીળું વસ્ત્ર ઓઢાવવામાં આવે છે.

(ક્રમશઃ)

“વસંતોત્સવ – જગ હોરી, વ્રજ હોરા” (ભાગ-૫)


“વસંતોત્સવ – જગ હોરી, વ્રજ હોરા” (ભાગ-૫)


કામનાં પાંચ બાણ છે. કામ સ્વરૂપે કૃષ્ણ બિરાજે છે અને કામ સ્વરૂપે ભક્તોના હૃદયને ખેંચી રહ્યા છે. દીપન, શોષણ, સંમોહન, તાપન અને ઉન્માદ આ કામનાં પાંચ બાણો છે. એના દ્વારા કૃષ્ણ ભક્તોને વીંધીને પોતાની તરફ ખેંચી રહ્યા છે એટલે આ જે કળશ છે એમાં પધરાવેલાં આમ્રમંજરી વગેરે ઉદ્દીપન ભાવો છે. ભક્તમાં જ્યારે પ્રેમનું ઉદ્દીપન થાય ત્યારે રસનો ઉન્માદ વધે છે.


ભાવરૂપે કૃષ્ણનો વિકાસ કઈ રીતે થાય છે અને એ વિકાસ જમીનમાં નહિ પણ ભક્તોના હૃદયમાં કેવી રીતે થાય છે, જેમ એક બીજ રોપ્યા પછી વિશાળ વૃક્ષ બને, વૃક્ષને ફૂલ આવે અને ફળ આવે, ત્યારે એ ફલફૂલવાળું વૃક્ષ કેટલું સુંદર, રસાળ અને મનગમતું બને છે, એમ કૃષ્ણ પણ એક શૃંગારકલ્પદ્રુમ સ્વરૂપે ભક્તોના હૃદયમાં કેવી રીતે વિકાસ પામે છે, એ દર્શાવતો એક બહુ સુંદર શ્લોક શ્રીગુસાંઈજીએ રચ્યો છે.


ભાવૈરંકુરિતંમયિ મૃગદુષા માકલ્પમાસંચિતં


પ્રેમ્ણાકંદલિતં મનોરથમયૈઃ શાખાશતૈસમૃધમં ।


લોલ્યૈ પલ્લવિતં મુદા કુસુમિતં પ્રત્યાશયા પુષ્પિતં


લીલાભિઃ ફલિતં ભજે વ્રજવનિ શૃંગારકલ્પદ્રુમં ।।


આ શૃંગારકલ્પદ્રુમનું બીજ છે ભાવ. ભક્તોના – ગોપીજનોના હૃદયમાં ભાવ ક્યારે આવ્યો? શ્રુતિરૂપાઓના હૃદયમાં ભાવ ક્યારે જાગ્યો અને ઋષિરૂપાઓના હૃદયમાં ભાવ ક્યારે જાગ્યો? પ્રારંભના કાળમાં ભગવાનની અનેક લીલાઓ હૃદયમાં સ્ફૂરાયમાન થઈ, એ લીલાઓએ આનંદનો અનુભવ અક્ષરબ્રહ્મ સુધીનો કરાવ્યો. પરંતુ પરમાનંદ હજુ કાંઈક અનુભવાતો ન હતો. ભગવાને જ એમના હૃદયમાં પરમાનંદની પ્રાપ્તિ માટે તાપ મૂક્યો. ભગવાને જ એમને વરદાન આપ્યું.


‘પ્રાપ્તે સારસ્વતે કલ્પે વ્રજે ગોપીઓ ભવિષ્યતઃ’ સારસ્વત કલ્પમાં તમે વ્રજમાં ગોપીજનો થઈને પધારશો.’ એ સમયનો તાપ હતો કે ક્યારે પ્રભુ સારસ્વત કલ્પમાં અવતાર લે, પૂર્ણ પુરુષોત્તમ સ્વરૂપે પધારે અને ક્યારે પોતાના પૂર્ણ રસાનંદ સ્વરૂપનો અમને અનુભવ કરાવે. ભાવૈઃ અંકુરિતં, આકલ્પમાસંચિતં – બે અર્થો છે. આસંચિતૈઃ ભાવૈઃ – એક કલ્પ સુધી સંઘરી રાખેલો ભાવ. એ ભાવ પોષાતા પોષાતાં – જેમ તડકો પડે અને પછી જ બીજમાંથી અંકુર ફૂટે એવી રીતે – એમના હૃદયમાં કૃષ્ણ અંકુર રૂપે ફૂટ્યા. જ્યારે કૃષ્ણ યશોદાજીને ત્યાં પ્રગટ્યા ત્યારે તમે જોશો તો એ બાલભાવની અંદર પણ શૃંગારભાવ છે. પ્રેંખ પર્યંક શયનં ચિરવિરહ તાપહર મતિ રૂચિર મીક્ષણં – પલનામાં પોઢીને પણ વિરહતાપને દૂર કરતા મધુરું મધુરું હસી રહ્યા છે. હજુ તો નાનકડા લાલ પલને ઝૂલે છે, ત્યાં બાલભાવમાં પણ ગોપીજનોના હૃદયમાં આ ભાવ અંકુરિત થયો.


ઋષિઓના હૃદયમાં ક્યારે ભાવ થયો? રામાવતારમાં જ્યારે ત્રેતાયુગમાં ભગવાન શ્રીરામે એમનો બિલકુલ સરળ સ્વભાવ જોયો ત્યારે પોતે જ એમના હૃદયમાં બિરાજીને એ ભાવ ઉત્પન્ન કર્યો કે હે રામ, આપના સૌંદર્યનો અનુભવ અમે ક્યારે કરીશું? ત્યારે અંદર પુષ્ટિપુરુષોત્તમે પ્રગટ થઈને વરદાન આપ્યું કે કૃષ્ણાવતારની અંદર તમે બધાં અગ્નિકુમારિકાઓ રૂપે પ્રગટશો અને ત્યારે હું તમારા ભાવોને પરિપૂર્ણ કરીશ. એ જે ત્રેતાયુગમાં હૃદયમાં ભાવનો વલોપાત શરૂ થયો હતો એ અંકુરિત થયો કૃષ્ણાવતારમાં – કૃષ્ણના પ્રાગટ્ય પછી.


સમગ્રના ભાવસ્વરૂપે – યશોદોત્સંગલાલિત સ્વરૂપે શ્રીકૃષ્ણનું પ્રાગટ્ય થયું.


‘મયિમૃગદૃષાં’ – મૃગનયની ગોપીઓનો આટલા બધા સમયથી સંઘરી રાખેલો એ ભાવ અંકુરિત થયો અને પછી એમાંથી પ્રેમરૂપી કંદલ એટલે ફણગો ફૂટ્યો. ધીરે ધીરે એમનામાં પ્રેમ જાગ્યો. શૃંગાર રસાત્મક કૂંપળો ફૂટી. સ્નેહાદ્‌ રાગ વિનાશસ્યાત્‌ જે શ્રીમહાપ્રભુજીએ ભક્તિવર્ધિનીમાં કહ્યું છે તેમ એમના સંસારમાંથી બધા રાગ ઓછા થવા લાગ્યા.


‘મનોરથમયૈઃ શાખાશતૈસમૃધમ્‌’ – એ જે ભાવ હતો, તેમાંથી પ્રેમ જાગ્યો, પ્રેમમાંથી પ્રણય જાગ્યો, ભાવમાંથી અકુર ફૂટ્યા, પ્રેમમાંથી કંદલ એટલે કૂંપળો ફૂટી. પ્રણયની અંદર એની અનેક શાખાઓ થઈ ગઈ. અનેક મનોરથો જાગ્યા – પ્રભુને લાડ લડાવવા માટે, પ્રભુને રસ લેવડાવવા માટે.


‘લોલ્યૈ પલ્લવિતં’ – અને પ્રભુનાં ચપળ નેત્રો અને લલિત લીલાઓ દ્વારા એ સ્નેહ વધુ વિકાસ પામ્યો. મુદા કુસુમિતં – જુદી જુદી લીલાઓ દ્વારા હૃદયમાં જે આનંદ પ્રગટ્યો, એમાંથી રાગ પ્રગટ્યો અને ધીરે ધીરે પ્રેમની કલિકાઓ ફૂટી.


‘પ્રત્યાશયા પુષ્પિતં’ – પછી હૃદયમાં રાગમાંથી અનુરાગ જન્મ્યો. એ કળીનું ફૂલ બન્યું.


‘લીલાભિઃ ફલિતં’ – પછી પ્રભુએ જે દાનલીલા, રાસલીલા કરી, વસંતલીલા કરી એમાં એનું ફળ મળ્યું. વસંતલીલામાં કૃષ્ણનું એ ઉદ્દીપક સ્વરૂપ સુંદર રીતે પ્રગટી ઊઠ્યું. ચોવા, ચંદન, અબીલ ગુલાલ લગાડવાને બહાને થતો શ્રીકૃષ્ણનો સ્પર્શ એ ઉદ્દીપક હતો. કોકિલનું ગાન ઉદ્દીપક હતું. યમુનાજીની લહેરો ઉદ્દીપક હતી. વૃંદાવનમાં ખીલેલી લતાપતા ઉદ્દીપક હતી. વાદ્યોનો મધુર ગુંજારવ ઉદ્દીપક હતો. આ બધી રસમસ્તી માટેની પૂર્વભૂમિકાઓ જ્યારે આવી ત્યારે મદનમહોત્સવ વસંતપંચમીના દિવસે મનાવાયો.


વસંતપંચમી મદન પ્રગટ ભયો, સબ તન મન આનંદ ।


ઠોર ઠોર ફૂલે પલાસ દ્રુમ ઔર મોર મકરંદ ।।


વિવિધ ભાંત ફૂલ્યો વૃંદાવન કુસુમ સમૂહ સુગંધ ।


કોકિલા મધુપ કરત ગુંજારવ ગાવત ગીત પ્રબંધ ।।


આ મદન મહોત્સવ આવતાં જ શયનમાં માન છોડવાનું પદ ગવાય છે. ઐસો પત્ર લિખિ પઠ્યો નૃપ વસંત.


હવે તો રાજા વસંત છે. એનું રાજ ચાલી રહ્યું છે. એ વસંત રાજા પત્ર લખીને માનુનીઓને કહી રહ્યા છે કે હવે તમે માન છોડો.


તુમ તજો માનિની માન તુરંત.


માનુની, તમે આમ કૃષ્ણકનૈયા સાથે મોઢું ફેરવીને બેસી ન રહો. આ તો આનંદલીલાનો સમય આવ્યો છે.


કાગદ નવદલ અંબપાત – વસંત ઋતુએ કાગળ કયો વાપર્યો? નવદલ અંબપાત – એટલે આંબાનું પત્રપાન લીધું છે. દ્વાત કમલ મસિ ભ્રમર ગાત – પછી કાળો ભ્રમર મસિ એટલે કાળી શાહી બન્યો છે. વળી એ ગાઈ રહ્યો છે. ગાતાં ગાતાં જાણે આ પત્ર લખાઈ રહ્યો છે.


લેખની કામકે બાન ચાપ – લેખની કઈ છે? કામના પાંચ બાણોની અને ચાંપ એટલે ધનુષ્યની લેખની એટલે પેન બની છે.


લિખ્યો અનંગ – પત્ર લખ્યો છે વસંત ઋતુના કહેવાથી કામદેવે – અનંગે. એના ઉપર ચંદ્રમાએ મોર છાપ મારી મલયાનિલ પઠ્યો કરી વિચાર – આ પત્ર લાવ્યું કોણ? મલયગિરિથી આવતો પવન એ પત્ર લાવ્યો. વાંચવા કોણ બેઠું? વસંતના પ્રેમના આ બધા પત્રોને વાંચે છે કોણ? વાંચી શુક મોર સુનો નાર. આ પત્રો પોપટ, મોર, કોયલ વાંચી રહ્યાં છે. ગોપીજનો, તમે આ વસંતઋતુનો કામદેવે લખેલો પત્ર વાંચો. ચંદ્રમાએ જેના ઉપર મોર છાપ મારી છે એ પત્ર વાંચો. સુંદર કમળના પાન અને આંબાના પાન ઉપર લખાયેલા પત્ર વાંચો. ભ્રમર જેમાં ગુંજારવ કરી રહ્યા છે એવા આ પત્ર વાંચો.


સૂરદાસ યોં બદત બાન તું હરિ ભજ ગોપી સયાન.


સૂરદાસજી કહી રહ્યા છે હે ગોપી તું માન ત્યજી દે. તું બહુ શાણી, સમજુ, ડાહી હોય તો આ વસંત ઋતુનો ઉત્સવ મનાવી લે.


ઐસો પત્ર લિખિ પઠ્યો નૃપ વસંત, તુમ તજો માનિની માન તુરંત.


કાગદ નવદલ અંબ પાંતિ, દ્વાત કમલ મસિ ર્ભંવર ગાતિ.


લેખન કામ કૈ બાન ચાપ, લિખિ અનંગ સસિ દઈ છાપ.


મલયાનિલ પઠ્યો કરિ બિચાર, બાંચે સુક પિક તુમ સુનોં નાર.


સૂરદાસ યોં બદતિ બાનિ, તૂ હરિ ભજ ગોપી સયાન.


મહાસુદ પૂનમથી હોળીદંડારોપણ થાય છે. ધમારગાન શરૂ થાય છે.


નેક મહોડો માંડન દેહો હોરી કે ખિલૈયા ।


જો તુમ ચતુર ખિલાર કહાવત અંગુરીન કો રસ લેહો ।।૧।।


ઉમડે ઘૂમડે ફિરત રાવરે સકુચિત કાહે હેહો ।


સૂરદાસ પ્રભુ હોરી ખેલો ફગવા હમારો દેહો ।।૨।।


વ્રજભક્તો ફગવા માગવાના બહાને જ્યાંને ત્યાં કૃષ્ણને લઈ જાય છે. કોઈ નચાવે છે, કોઈ કૂદાવે છે. નેક મહોંડો માંડન દેહો – કાના, આજે જરા મુખ ઉપર રંગ લગાવવા દે. જો તુ ચતુર ખિલાર ગણાતો હોય તો અંગુરિનકો રસ લઈ લે. આજે સંકોચ શાનો? અમારી સાથે હોરી ખેલો અને અમને ફગુવા આપો.




(ક્રમશઃ)

)